આદર્શ નિવાસી શાળા- ઉમરપાડામાં “પરીક્ષા આવી,ખુશહાલી લાવી” સેમિનાર યોજાયો
“પરીક્ષાથી ડરવાની નહીં, પરંતુ આયોજનપૂર્વક અને ઉત્સાહથી મહેનત કરવાની જરૂર છે.”- રાજેશ ધામેલિયા
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉમરગોટ ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં આજે “પરીક્ષા આવી,ખુશહાલી લાવી” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના ઉત્સાહી અને કર્મઠ ઇ.આચાર્ય શ્રી વિપુલભાઈએ આજના કાર્યક્રમના ટ્રેનર શ્રી રાજેશભાઈ ધામેલિયાનો પરિચય આપ્યો હતો અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. શાળાના શિક્ષક શ્રી કમલેશભાઈ પંડ્યાએ શ્લોકગાન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ કોઈ પણ રમતના ખેલાડીની વિશ્વ કપ ટુર્નામેન્ટમાં પસંદગી થાય તો તે ખુશ થાય છે, તેમ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષાનો ખુશી ખુશીથી સ્વીકાર કરવો જોઈએ. દસ-બાર વર્ષથી અભ્યાસ કરી રહ્યા છીએ તેની રાજ્ય કક્ષાની હરીફાઈ એટલે બોર્ડની પરીક્ષા. બોર્ડની પરીક્ષા આફત નહીં, એક અવસર છે. તેને સારી રીતે પાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકીએ છીએ. આથી પરીક્ષાથી ડરવાની નહીં, પરંતુ આયોજનપૂર્વક અને ઉત્સાહથી મહેનત કરવાની જરૂર છે. પરિણામ અંગે ખોટી ચિંતા કરવાથી વાંચેલું ભુલાઈ જાય છે. ચિંતામુક્ત થઈને આનંદથી વાંચેલું વધારે યાદ રહે છે. જે વાંચ્યું હોય તે મિત્રો વચ્ચે રજૂ કરવાથી તમામ મિત્રોને સહેલાઈથી યાદ રહી જાય છે.”
વિદ્યાર્થીઓએ કાર્યક્રમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “ આજે અમને ઘણું નવું શીખવા મળ્યું. પ્રેરક વાર્તાઓ સાંભળવાની ખૂબ મજા આવી. અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળીને પરીક્ષાની ઉત્સાહભેર તૈયારી કરીશું અને શાળાનું ગૌરવ વધારીશું.
આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અને શિક્ષક ભાઈઓ- બહેનો સામેલ થયા હતા. કાર્યક્રમમાં સુંદર માર્ગદર્શન આપવા બદલ શાળાના ઇ.આચાર્ય શ્રી વિપુલભાઈએ શ્રી રાજેશભાઈનો શાળા પરિવારવતી આભાર વ્યક્ત કર્યો હતો.
ખૂબ જ સરસ કાર્યક્રમ સફળ થયો.વિદ્યાર્થીઓ રસપૂર્વક પરીક્ષા આપી શકે છે.
ReplyDelete